કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓ વર્ષના અંતમાં યોજાવાની શક્યતા, ઓગસ્ટમાં તારીખો જાહેર થશે

કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું તેનો સમયગાળો આ મહિને પુરો થવા જઇ રહ્યો હોવાથી વધુ છ માસ લંબાવાશે
નવી દિલ્હી, તા. 4 મે, 2019, મંગળવાર
જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. ચૂંટણી પંચે પણ મંગળવારે સ્પષ્ટતા કરી દીધી હતી કે અમરનાથ યાત્રા પુરી થાય તે બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. તેથી પુરી શક્યતાઓ છે કે આ વર્ષે જ કાશ્મીરમાં ચૂંટણી યોજાઇ જશે. આગામી મહિને અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે જેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
દરમિયાન ચૂંટણી પંચે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ વર્ષે જ ચૂંટણીની તારીખો જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ચૂંટણી પણ આ જ વર્ષે યોજવામાં આવે તે અંગે વિચારણા ચાલી રહી છે. કાશ્મીરમાં જુન ૨૦૧૮ના રોજ પીડીપી અને ભાજપની સરકાર વચ્ચે ભંગાણ થતા રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું હતું, બાદમાં ડિસેમ્બર ૨૦૧૮ના રોજ તેને રાષ્ટ્રપતિ શાસન હેઠળ લાવવામાં આવ્યું.
જોકે રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો આગામી ૧૯મી જૂને પુરો થવા જઇ રહ્યો છે. જોકે આ સમયગાળાને બાદમાં લંબાવવામાં આવી શકે છે. કેમ કે ૪૬ દિવસ લાંબી અમરનાથ યાત્રા પહેલી જુલાઇથી શરૂ થશે જે પુરી થશે તે બાદ ચૂંટણીની તારીખો જાહેર થશે, જેથી ચૂંટણીની તારીખો જાહેર થવામાં હજુ બે મહિના જેટલો સમય લાગી શકે છે.
બીજી તરફ અમરનાથ યાત્રા પહેલી જુલાઇથી શરુ થવા જઇ રહી હોવાથી સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને પુલવામા જેવો કોઇ હુમલો આતંકીઓ અમરનાથ યાત્રા પર કરવાના હોવાની શક્યતાઓને પગલે રોડ અને હાઇવે પર વધુ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. અમરનાથ યાત્રીકોને પણ સાવચેત રહેવા અને સુરક્ષાકર્મીઓને મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.
No comments: