પાંચ કલાકની માથાકૂટ બાદ મોદી અને શાહે નક્કી કરી લીધા મંત્રી મંડળના સભ્યો
નવી દિલ્હી, તા 29 મે 2019, બુધવાર
સતત બીજી વખત જંગી બહુમતિ સાથે ચૂંટાયેલી મોદી સરકારના શપથગ્રહણનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે ત્યારે રાજકીય ગલિયારાઓમાં ચર્ચાતો સૌથી વધુ સવાલ એ છે કે, મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે.
દર વખતની જેમ આ સવાલના જવાબમાં માત્ર અટકળો જ થઈ રહી છે. જોકે એવુ મનાઈ રહ્યુ છે કે, પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મંગળવારે આ માટે પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠક બાદ મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે તે નક્કી થઈ ગયુ છે.
આ માટે મોદી અને શાહ વચ્ચે બનારસ અને અમદાવાદમાં પણ ચર્ચા થઈ હતી. બંને વચ્ચે સંમતિ બની ચુકી છે પણ મંત્રી મંડળમાં કોના નામો છે તે અંગે ફોડ પાડવા માટે કોઈ તૈયાર નથી.
જોકે એવુ મનાઈ રહ્યુ છે કે, પોતાના દમ પર બહુમતિ મેળવ્યા પછી પણ ભાજપ દ્વારા એનડીએના સાથી પક્ષોને પણ મંત્રી મંડળમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ ફાળવવામાં આવશે. તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાંથી જીતેલા ભાજપના સાંસદોને પણ મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. આ સિવાય ગઈ સરકારમાં પ્રમુખ ચહેરા રહી ચુકેલા કેટલાક મંત્રીઓને ફરી નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.
દરમિયાનમાં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર પણ આજે દિલ્હીમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળ્યા છે. આ મુલાકાત પણ આરજેડીના કયા નેતાને મંત્રી મંડળમાં સ્થાન આપવુ તે માટે હોવાની અટકળો થઈ રહી છે.
No comments: