જેટલીનો મંત્રી બનવાનો ઈનકાર, મોદીને પત્ર લખીને કરી આવી વિનંતી
નવી દિલ્હી, તા. 29. મે, 2019 બુધવાર
આવતીકાલે પીએમ મોદી બીજી ઈનિંગ માટે વડાપ્રધાન તરીકેના શપથ લેશે અને સાથે સાથે મોદી મંત્રીમંડળના બીજા મંત્રીઓની પણ શપથવિધિ યોજાશે.
પીએમ મોદીના મંત્રીમંડળમાં કોને જગ્યા મળશે તે અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે અગાઉની કેબિનેટમાં નાણામંત્રી રહેલા ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીએ હવે મંત્રી બનવાની ના પાડી દીધી છે.
જેટલીએ પીએમ મોદીને લખેલો પત્ર ટ્વિટર પર શેર કર્યો છે.જેમાં તેમણે કહ્યુ છે કે, મારી તબિયત સારી નથી એટલે મને મંત્રી બનાવવા પર વિચાર ના કરતા.જેટલીએ વધુમાં પત્રમાં લખ્યુ હતુ કે, તમારી(પીએમ મોદી)આગેવાની હેઠળની સરકારમાં કામ કરવાનો અનુભવ બહુ સારો હતો.
આ પહેલા પણ મને એનડીએ સરકારમાં મહત્વની જવાબદારીઓ અપાઈ હતી. સરકાર સિવાય સંગઠન અને વિપક્ષના નેતા તરીકે મહત્વની જવાબદારીઓ પણ પાર્ટીએ મને ભૂતકાળમાં આપેલી છે. હવે મને કશુ જોઈતુ નથી.
18 મહિનાથી હું ગંભીર બીમાર છું જ્યારે તમે (પીએમ મોદી)કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે મેં તમને કહ્યુ હતુ કે, સ્વાસ્થ્યના કારણે ભવિષ્યમાં હું કોઈ પણ જવાબદારી ઉઠાવી નહી શકું, મારે મારી સારવાર પર ધ્યાન આપવાનુ છે. હું આપને સત્તાવાર રીતે ઔપચારિક રુપે એટલે વિનંતી કરી રહ્યો છું કે, સારવાર માટે મને વધારે સમયની જરૂર છે. એ પછી મારી પાસે નિશ્ચિત પણે વધારે સમય રહેશે. તે વખતે હું સરકારને મદદ કરીશ.
No comments: