મતગણતરી પહેલા વીવીપીએટી-ઇવીએમની સરખામણીની 22 પક્ષોની માગ ચૂંટણી પંચે ફગાવી
મોટા ભાગની માગણીઓનો અસ્વીકાર થતાં ચૂંટણી પંચ પ્રત્યે વિપક્ષોનો રોષ વધ્યો
નવી દિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીનું ૨૩મીએ પરીણામ જાહેર થવાનું છે તે પહેલા જ ઇવીએમને લઇને અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. કોંગ્રેસ સહીત આશરે ૨૨ જેટલા પક્ષોએ ચૂંટણી પંચને મળીને એવી માગણી કરી હતી કે મતગણતરી શરૂ કરો તે પહેલા વીવીપીએટી અને ઇવીએમ બન્નેની સરખામણી કરવામાં આવે.
આ માટે એક ડેલિગેશન પણ ચૂંટણી પંચને મળ્યું હતું, જોકે એવા અહેવાલો છે કે ચૂંટણી પંચે આ માગણીને પણ ફગાવી દીધી છે. વિપક્ષોએ એવી પણ માગણી કરી હતી કે જો પાંચમાંથી એક પણ ઇવીએમમાં વીવીપીએટીની સરખામણી સમયે ગડબડ સામે આવે તો દરેક ઇવીએમની ગણતરી ફરી કરાવવી જોઇએ.
જોકે હવે એવા અહેવાલો છે કે ચૂંટણી પંચે એક પણ માગણીનો સ્વીકાર નથી કર્યો અને અગાઉ જે રીતે ગણતરી કરવામાં આવતી હતી તે જ રીતે આ વખતે પણ કરવામાં આવશે તેવો નિર્ણય ચૂંટણી પંચે લીધો છે. એટલે કે અન્ય ઇવીએમની મતગણતરી પૂર્ણ થઇ જાય તે બાદ અંતે વીવીપીએટીની સરખામણી કરવામાં આવશે.
વિપક્ષોની એવી દલીલ છે કે જો વીવીપીએટી અને ઇવીએમની સરખામણી પહેલા જ કરી લેવામાં આવે તો તેનાથી એ ખ્યાલ આવી શકે કે જે તે વિસ્તારમાં કોઇ ગડબડ થઇ છે કે કેમ અને જો ગડબડ સામે આવે તો તે વિસ્તારના દરેક વીવીપીએટી અને ઇવીએમની સરખાણી કરીને જ મતગણતરી કરવી જોઇએ અન્યથા બીજા કોઇ પગલા લેવા જોઇએ.
આ પહેલા પણ જ્યારે મતદાન થઇ રહ્યું હતું ત્યારે અનેક ઇવીએમમાં ખામી સર્જાઇ હતી, જ્યારે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે ઇવીએમમાં છેડછાડ થઇ રહી છે, ઇવીએમમાં ગડબડ કરીને ભાજપને જીતાડવાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે. આ પહેલા પણ ઇવીએમને લઇને અનેક ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી ચુકી છે. જોકે તેનું કોઇ ખાસ પરીણામ હજુસુધી સામે નથી આવ્યું, આ પરિસ્થિતિ વચ્ચે હવે ફરી ઇવીએમને લઇને વિપક્ષને ચૂંટણી પંચે ઝટકો આપ્યો છે અને માગણીને ફગાવી દીધી છે.
No comments: