ભારતીય દુતાવાસે ઇફતાર પાર્ટી યોજી ઇસ્લામાબાદનો બહિષ્કાર : દરવાજા બંધ કર્યા

પાક. અધિકારીઓનું વર્તન અતિ શરમજનક, બન્ને દેશોના સંબંધો પર અસર પડશે : ભારતીય હાઇ કમિશનર
નવી દિલ્હી, તા. 2 જૂન, 2019, રવિવાર
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શનિવારે ભારતીય હાઇ કમિશનની ઇફ્તાર પાર્ટીમાં મહેમાનો સાથે પાકિસ્તાની અધિકારીઓએ અત્યંત ખરાબ વ્યવહાર કર્યો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની એજન્સીઓએ હોટેલ સેરેનાની બહાર શનિવારે ઘેરાબંદી કરી હતી અને મહેમાનોને ધમકાવ્યા હતા. જે બાદ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.
સુત્રોએ જણાવ્યું હતું કે મહેમાનો પાકિસ્તાની અધિકારીઓેએ ફોન કરીને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે જો ઇફ્તાર પાર્ટીમાં આવ્યા તો ગંભીર પરીણામો ભોગવવા પડશે. આ પ્રકારના વ્યવહાર બાદ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી વિવાદ શરૃ થઇ ગયો છે. પાકિસ્તાનમાં સ્થિત ભારતીય હાઇ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યું હતું કે અમે એ દરેક મહેમાનોની માફી માગીએ છીએ કે જેને બળજબરીથી પરત મોકલી દેવામાં આવ્યા.
આ પ્રકારનો વ્યવહાર અતી શરમજનક છે. બિસારિયાએ જણાવ્યું હતું આ પ્રકારના વ્યવહારથી પાકિસ્તાને બન્ને દેશો વચ્ચેના સંબંધોને પણ ખરાબ કર્યા છે. એવા દાવા થઇ રહ્યા છે કે ઇફ્તાર પાર્ટી જે હોટેલમાં રાખવામાં આવી હતી તેના ગેટ પર પાકિસ્તાની સિક્યોરિટી તૈનાત હતી જેમણે મહેમાનોને બહારથી જ રવાના કરી દીધા હતા અને દરવાજા બંધ કરીને કહ્યું હતું કે ઇફ્તાર પાર્ટી પુરી થઇ ગઇ છે.
આ ઇફ્તાર પાર્ટીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને અન્ય અધિકારીઓને પણ આમંત્રીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ આલ્વી, વિદેશ સચિવ સોહેલ મહમૂદ, સીનેટ ચેરમેન અને નેશનલ એસેંબ્લીના સ્પીકરને પણ આમંત્રીત કરાયા હતા.
No comments: