આ રાજ્ય નીકળ્યુ મોદી સરકાર કરતા આગળ, ખેડૂતોને આપશે આટલી રકમ
હૈદરાબાદ, તા.6 જૂન 2019, ગુરૂવાર
ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય કરવાની યોજના મોદી સરકારે લાગુ કરી છે ત્યારે આંધ્રપ્રદેશ સરકાર તેનાથી એક ડગલુ આગળ વધી છે.
આંધ્રના નવા મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ રાજ્યના ખેડૂતો માટે 15 ઓક્ટોબરથી રાયતૂ ભરોસા યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં ખેડૂતોને દર વર્ષે 12,500 રૂપિયા આપવામાં આવશે.
આ યોજનાનુ એલાન કરવાની સાથે સાથે અગાઉની સરકારની અન્નદાતા સુખી ભવ યોજનાને જગને રદ કરવાનુ પણ એલાન કર્યુ હતુ. જેમાં ખેડૂતોને 10,000 રૂપિયા મદદ કરવાની વાત હતી.
જગનમોહનની સરકારે આ પહેલા રાજ્યના હેલ્થ વિભાગમાં કામ કરતી આશા વર્કરોનો પગાર ત્રણ ગણો કરવાની જાહેરાત કરેલી છે. હવે આ કર્મચારીઓને 3,000ની જગ્યાએ 10,000 રૂપિયા પગાર મળશે.
જગનમોહન રેડ્ડીની સરકારે રાજ્યની યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવા માટે દરેક 50 ઘર દીઠ એક ગ્રામ સેવકની ભરતી કરવાની અને તેમને આ નોકરી માટે દર મહિને 5,000 રૂપિયા આપવાનુ પણ નક્કી કરેલુ છે.
નવી સરકારની એક મહત્વકાંક્ષી યોજના ગ્રામ સચિવાલય પણ છે. જેમાં દરેક ગામમાં એક સચિવાલય સ્થાપીને તેમાં ગામના જ 10 વ્યક્તિઓને નોકરી અપાશે. ગામની ફરિયાદોનો આ સચિવાલય દ્વારા 72 કલાકમાં નિકાલ લવાશે.
No comments: