જાણો કેવી રીતે થાય છે લોકસભા ચૂંટણીની મતગણતરી
નવી દિલ્હી, તા. 23 મે 2019, ગુરુવાર
17મી લોકસભાની 542 બેઠકો માટે સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે થઇ રહી છે. ત્યારે આવો જાણીએ કે મતગણતરીની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાય છે.
- મતગણતરી પહેલાં રિટર્નિંગ ઓફિસર અને તેમના સહયોગીઓ સૌની સામે મતોની ગોપનીયતાની શપથ લે છે.
- મતગણતરી શરૂ કરતા પહેલાં રિટર્નિંગ ઓફિસરની હાજરીમાં તમામ EVMની તપાસ કરવામાં આવે છે.
- રાજકીય પક્ષોના ઉમેદવારોને પોતાના કાઉન્ટિંગ એજન્ટો સાથે મતગણતરી કેન્દ્રોમાં હાજર રહેવાની પરવાનગી હોય છે. કાઉન્ટિંગ એજન્ટ મતોની ગણતરી પર દેખરેખ રાખી શકે છે.
- સૌથી પહેલાં પોસ્ટલ મતપત્રોની ગણતરી થાય છે અને એ પછી EVMના મતોની ગણતરી હાથ ધરવામાં આવે છે.
- મતદાન કેન્દ્રો પ્રમાણે ક્રમમાં મૂકવામાં આવેલા EVM ઓન કર્યા બાદ તેમાં પડેલા કુલ વોટ અને પછી જુદાં જુદાં ઉમેદવારોને મળેલા મતો નોંધવામાં આવે છે.
- ત્યારબાદ તમામ મતદાન કેન્દ્રોના EVMના આંકડાનો સરવાળો કરી દેવામાં આવે છે.
- નવી વ્યવસ્થા અનુસાર EVMની ગણતરી ખતમ થયા બાદ VVPATની ચબરખી સાથે ગણતરી કરવામાં આવશે. આ કામગીરી માટે દરેક કાઉન્ટિંગ હોલમાં અલગથી VVPAT બૂથ રાખવામાં આવશે.
- જો કોઇ પણ પ્રકારનો ટેકનિકલ ફોલ્ટ કે પછી વિવાદ ઊભો થાય તો રિટર્નિંગ ઓફિસરે તાત્કાલિક ચૂંટણી પંચને રિપોર્ટ કરવાનો રહેશે.
- રિટર્નિંગ ઓફિસરની ફરિયાદને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચ મતગણતરી અટકાવવાની કે મતગણતરી રદ્ કરવાની કે પછી પુનઃમતદાન કરવાના આદેશ આપી શકે છે.
- જો કોઇ પણ સમસ્યા કે ફરિયાદ વગર મતગણતરી પૂરી થાય અને ચૂંટણી પંચ તરફથી કોઇ નિર્દેશ ન આપવામાં આવે તો રિટર્નિંગ ઓફિસર પરિણામ જાહેર કરી શકે છે.
No comments: