અમેરિકા અટકચાળો કરશે તો સિક્રેટ મિસાઇલથી તેના યુદ્ધ જહાજોને ડૂબાડી દઇશું : ઇરાન
1500 અમેરિકન સૈનિક તૈનાત કરવાની અમેરિકાની જાહેરાત પછી ઇરાની સેનાની ચિમકી
તેહરાન, તા. 25 મે, 2019, શનિવાર
ઇરાનથી બચવા માટે સાવચેતીના પગલારૂપે અમેરિકાએે ખાડીમાં ૧૫૦૦ અમેરિકન સૈનિકોને તૈનાત કરવાની જાહેરાત કરી છે. ઇરાનના વિદેશ પ્રધાને અમેરિકાના આ પગલાને અયોગ્ય ગણાવતા જણાવ્યું છે કે અમેરિકાના પગલાથી આંતરરાષ્ટ્રીય શાંતિ જોખમાશે.
ઇરાનની ન્યૂઝ એજન્સી મિઝાને ઇરાનની સેનાના અધિકારીના સંદર્ભથી જણાવ્યું છે કે ઇરાન અમેરિકાએ ખાડી ક્ષેત્રમાં મોકલેલા બે યુદ્ધ જહાજોને બે નવી સિક્રેટ મિસાઇલનો ઉપયોગ કરીને ડૂબાડી શકે છે.
અમેરિકાએ ઇરાનથી બચવાના પ્રયાસ રૂપે ખાડીમાં ૧૫૦૦ અમેરિકન સૈનિકોને તૈનાત કરવાની જાહેરાત કરી હતી. ઇરાનની સેનાના કમાન્ડરના સલાહકાર જનરલ મોર્તજા કુર્બાનીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે અમેરિકા અહીં બે મોટા જહાજ મોકલી રહ્યું છે.
જો તેઓ મૂર્ખતાપૂર્વક હરકત કરશે તો અમે અમારી મિસાઇલો અને અન્ય ગુપ્ત હથિયારોની મદદથી ક્રૂ સહિત આ જહાજોને સમુદ્રમાં ડૂબાડી દઇશું. ઇરાન દ્વારા અપાયેલી ધમકીને ગંભીરતાથી લેતા ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાએ ખાડીમાં એરક્રાફ્ટ કેરિયર પણ તૈનાત કર્યુ છે.
આ અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો અમેરિકા તેના હિતો પર હુમલો કરશે તો તેને વિનાશ કરશે. ઇરાનના કોઇ પણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે અમેરિકાએ અગાઉથી ખાડી ક્ષેત્રમાં વિમાનવાહક જહાજ અને બોંબ વર્ષા કરી શકે તેવા વિમાન તૈનાત કરી દીધા છે. ૨૦૧૫ની પરમાણુ સમજૂતીમાંથી અમેરિકા ખસી ગયા પછી બંને દેશો વચ્ચે તંગદિલી શરૂ હતી. જેના ભાગરૂપે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રકારના પ્રતિબંધ મૂક્યા છે.
No comments: