ભારતમાં બેરોજગારી 7.6 ટકાની સર્વોચ્ચ સપાટીએ એક વર્ષમાં 1.1 કરોડ લોકોએ નોકરી ગુમાવી


દેશના પાંચ મોટા પડકારોમાં આતંકવાદ છેક પાંચમા ક્રમે

નવી દિલ્હી, તા.2 મે, 2019, ગુરૂવાર

ભારતમાં બેરોજગારી દર દિવસે ને દિવસે વધતો જાય છે, હાલ નવા જાહેર થયેલા આંકડા અનુસાર એપ્રીલ સુધીમાં ભારતમાં બેરોજગારી દર વધીને ૭.૬ ટકા સુધી પહોંચી ગયો છે જે ઓક્ટોબર, ૨૦૧૬ બાદ સૌથી ઉંચો અને ૪૫ વર્ષમાં સૌથી વધુ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ જારી કરેલા નવા આંકડામાં આ ઘટસ્ફોટ થયો છે. 

સરકાર દાવા કરી રહી છે કે અમે રોજગારી ઉભી કરી છે જ્યારે બીજી તરફ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ જે નવા આંકડા જારી થયા છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મુશ્કેલી વધારી શકે છે કેમ કે વિપક્ષને લોકસભાની ચૂંટણીમાં સરકારને ઘેરવાનો વધુ એક મુદ્દો મળી ગયો છે. 

જ્યારે બીજી તરફ અમેરિકાના આંતરરાષ્ટ્રીય પીઇડબ્લ્યૂ (પ્યૂ) રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં બેરોજગારી પર સરવે હાથ ધરાયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં યુવાનો બેરોજગાર બની રહ્યા છે તે અને વધી રહેલી મોંઘવારી આ બન્ને સૌથી મોટા ચિંતાજનક મુદ્દા છે. જેમાં સાથે એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં હાલ ૭૫ ટકા યુવાનોને લાગી રહ્યું છે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે, આ ઉપરાંત વસ્તુઓના વધી રહેલા ભાવ પણ સૌથી ચિંતાનો વિષય છે. આ સરવેમાં ૭૩ ટકા લોકોએ આ બન્ને મુદ્દાને દેશના સૌથી મોટા મુદ્દા ગણાવ્યા હતા. 

અમેરિકા સ્થિત પીઇડબ્લ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકાશીત સરવેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં હાલ નાગરીકો માટે બેરોજગારી અને મોંઘવારી સૌથી મોટા મુદ્દા છે, જે બાદ ભ્રષ્ટાચાર, આતંકવાદ અને ગુનાની ઘટનાઓ અંગે લોકો વધુ ચિંતિત છે. તેવી જ રીતે ભ્રષ્ટાચારી બિઝનેસમેન અને દેશમાં વધી રહેલુ પ્રદુષણ પણ ટોપ ૧૦ સમસ્યાઓમાં સામેલ છે. સાથે મોદી સરકારની કામગીરીથી પણ એક સામાન્ય નાખુશ વાતાવરણ પણ લોકોમાં જોવા મળી રહ્યું છે. મોદી સરકારના કાર્યકાળમાં પણ રોજગારીમાં કોઇ ખાસ સુધારા નથી થયા તેમ આ સરવેમાં જણાવવામાં આવ્યું છે. 

છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારના કાર્યકાળ દરમિયાન બેરોજગારીને લઇને કોઇ નક્કર પગલા લેવાયા કે કેમ તે અંગે જ્યારે લોકોને પૂછવામાં આવ્યું તો ૬૭ ટકા લોકોએ કહ્યું હતું કે કોઇ જ સુધારો રોજગારીમાં નથી થયો, અને સ્થિતિ પહેલા કરતા વધુ કથળેલી છે.

 જ્યારે ૬૫ ટકા લોકોએ જણાવ્યું હતું કે મોંઘવારી સૌથી ઉંચા સ્તરે છે. મોદી અને ભાજપ હાલ ચૂંટણીમાં સૌથી વધુ આતંકવાદને લઇને પ્રચાર કરી રહ્યા છે અને દાવા કરી રહ્યા છે કે અમે નક્કર પગલા આતંકવાદને લઇને લીધા છે. જોકે આ સરવેમાં જણાવ્યા અનુસાર લોકોને આતંકવાદ બાદમાં પણ પહેલા રોજગારી અને મોંઘવારીની વધુ ચીંતા છે. 

ડિસેમ્બરમાં લીક થયેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. જ્યારે હાલમાં સીએમઆઇઈ દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૮માં દેશમાં ૧.૧ કરોડ લોકોએ નોકરી ગૂમાવી દીધી હતી. એટલે કે નોકરી પ્રાપ્ત થવાની તો દુર હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે.



ભારતમાં બેરોજગારી 7.6 ટકાની સર્વોચ્ચ સપાટીએ એક વર્ષમાં 1.1 કરોડ લોકોએ નોકરી ગુમાવી ભારતમાં બેરોજગારી 7.6 ટકાની સર્વોચ્ચ સપાટીએ એક વર્ષમાં 1.1 કરોડ લોકોએ નોકરી ગુમાવી Reviewed by GK Exam Guruji on May 02, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.