ભારત પર અમેરિકાનું ગ્રહણ: ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદી પર પ્રતિબંધ


ઈરાનના નેતાઓનું વર્તન બદલાશે નહીં ત્યાં સુધી અમેરિકા પ્રતિબંધ નહીં હટાવે : અમેરિકી વિદેશ મંત્રી પોમ્પિઓ

પ્રતિબંધ પછી ઓઈલની ડિમાન્ડને પહોંચી વળવા અમેરિકાનું મિત્ર રાષ્ટ્ર સાઉદી અરેબિયા પેટ્રોલિયમની નિકાસ વધારે : ટ્રમ્પ

વૉશિંગ્ટન, તા.22 એપ્રિલ, 2019, સોમવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેના કારણે ભારત, ચીન, જાપાન સહિતના આઠ દેશો હવે ઈરાન પાસેથી આવતા મહિનાથી પેટ્રોલિયમ ખરીદી શકશે નહીં. વ્હાઈટ હાઉસે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે અમેરિકાએ નક્કી કર્યું છે કે હવે એક પણ દેશ ઈરાન પાસેથી ઓઈલ ખરીદી શકશે નહીં. ઈરાનની નિકાસ સદંતર બંધ કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨જી મેથી આ પ્રતિબંધ લાગુ પડશે.

થોડા મહિના પહેલાં ભારત, ચીન, જાપાન સહિતના અમુક દેશોની પેટ્રોલિયમની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઈરાન સાથે ઓઈલનો વેપાર કરવાની છૂટ આપી હતી. જોકે, ઈરાન પાસેથી પેટ્રોલિયમની ખરીદી ઉપર પ્રતિબંધ મૂકાતા હવે ભારત, ચીન, જાપાન, ઈટાલી, ગ્રીસ, તૂર્કી, સાઉથ કોરિયા, તાઈવાને ઈરાન સાથે કરેલા ઓઈલ ખરીદીના સોદા રદ્ કરવા પડશે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના નેતાઓનું વર્તન બદલાશે નહીં, ત્યાં સુધી અમેરિકા ઓઈલની ખરીદી ઉપર પ્રતિબંધ ચાલુ રાખશે. ઈરાન ઉપર દબાણ લઈ આવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે અને જ્યાં સુધીમાં એમાં સફળતા નહીં મળે ત્યાં સુધી એક પણ દેશને ઈરાન પાસેથી ઓઈલની ખરીદીની છૂટ મળશે નહીં.

માઈક પોમ્પિઓએ આડકતરી ધમકી આપતા કહ્યું હતું કે અમેરિકાના આશા છે કે તેમના મિત્ર રાષ્ટ્રો આ પ્રતિબંધમાં સહકાર આપશે. કારણ કે અમેરિકા તેમના મિત્ર રાષ્ટ્રો સાથે થયેલા વિવિધ કરારો જાળવી રાખવા માગે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાને નિર્દેશ કર્યો હતો કે જ્યાં સુધી ઈરાન ઉપર પ્રતિબંધ ચાલુ રહે ત્યાં સુધી પેટ્રોલિયમની વધતી ડિમાન્ડને પહોંચી વળવા માટે સાઉદી અરેબિયા અમેરિકાને સહકાર આપે અને ઓઈલની નિકાસ વધારે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું : 'સાઉદી અરેબિયા અને અન્ય મિત્ર રાષ્ટ્રો ઓઈલ નિકાસનો જથ્થો વધારીને નવેસરથી નિકાસનો સોદો કરે, કે જેથી ઈરાન ઉપર પ્રતિબંધ મૂકાય તે પછી સર્જાતી જરૃરિયાતને પૂરી કરી શકાય'

અમેરિકા-ઈરાન વચ્ચે વાંધો શું છે?

અમેરિકા-ઈરાન વચ્ચે લવ-હેટ પ્રકારના સબંધો રહ્યા છે. થોડો સમય સબંધ સુધરે, થોડો સમય બગડે. સબંધ બગડવાના મૂળમાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. અમેરિકા ઈચ્છે છે કે હવે કોઈ દેશોએ પરમાણુ શસ્ત્રોના સર્જનની દિશામાં આગળ વધવું ન જોઈએ. માટે જે કોઈ દેશ પરમાણુ પ્રક્રિયા કરતો હોય તેની સામે અમેરિકાને વાંધો પડે છે.

ઈરાન-અમેરિકાનો વાંધો છેક ૧૯૭૯થી ચાલ્યો આવે છે. જ્યારે જ્યારે અમેરિકાને એવુ લાગે કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર આગળ વધી રહ્યું છે, ત્યારે અમેરિકાએ તેના પર પ્રતિબંધ મુક્યા છે. પ્રતિબંધ અમેરિકા એકલું મુકે એવુ નથી, અમેરિકા રાષ્ટ્રસંઘમાં ખરડો પસાર કરે અને પછી એ પ્રતિબંધ વૈશ્વિક બની જાય. અગાઉ પણ રાષ્ટ્રસંઘ ઈરાન પર પ્રતિબંધ મુકી ચૂક્યુ છે.

પ્રતિબંધ મુકાય ત્યારે પહેલુ કામ પેટ્રોલિયની નિકાસ બંધ કરવાનું થાય. ઈરાન પાસેથી કોઈએ પેટ્રોલ ખરીદવું નહીં, એવો ફતવો બહાર પડે. અત્યારે પણ ભારત સહિતના દેશો ઈરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદી ન શકે એવો નિર્ણય આવ્યો છે. આ  પ્રકારના પ્રતિબંધો અનેક રીતે નુકસાન કર્તા હોય છે. અમેરિકાની ઈચ્છા એવી છે કે ઈરાન મિસાઈલ પરીક્ષણ, આતંકવાદીઓને સહયોગ અને પરમાણુ કાર્યક્રમ બધાને એક સાથે તાળું મારી દે.

પછી જ અમેરિકા તેમના પરના પ્રતિબંધો હટાવે. પ્રતિબંધો હટે તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર થઈ શકે. બીજી તરફ ઈરાનના નેતાઓ દેશની સુરક્ષાનું બહાનુ આગળ ધરીને પોતાના પરમાણુ કાર્યક્રમથી પાછળ હટવા માંગતા નથી. માટે આ મુદ્દે હવે બન્ને દેશો વચ્ચે ફરીથી વાંધો પડશે અને એ વાંધો લાંબો ચાલશે, તેનું નુકસાન ભારત જેવા પેટ્રોલિયમની આયાત પર નિર્ભર રહેતા દેશોને થશે.



ભારત પર અમેરિકાનું ગ્રહણ: ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદી પર પ્રતિબંધ ભારત પર અમેરિકાનું ગ્રહણ: ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદી પર પ્રતિબંધ Reviewed by GK Exam Guruji on April 22, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.