ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો ધડાકો

અમદાવાદ તા. 29 મે 2019, બુધવાર
ભાજપના રાજ્ય સભાના સાંસદ અને અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક ધડાકો કર્યો છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તમારે આગામી પાંચ વર્ષમાં વાસ્તવિક રીતે દસ ટકા જીડીપી મેળવવો હોય તો નાણા ખાતું મને આપો. જો તમારે 2024 ની ચૂંટણી સુધી જીડીપીના આંકડા વધારીને બતાવવા હોય અને તેમાં મેનિપ્યુલેશન કરવું હોય તો હું તમને બીજું કોઈ નામ સજેસ્ટ કરીશ. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વિટર પરથી આ પ્રકારનો મેસેજ મોકલ્યો છે.
જેને લઈને આવતીકાલે મોદીની શપથવિધિ પહેલા જ ભારે હોબાળો મચી ગયો છે. આજે બપોર પછી દિલ્હીમાં એવી વાતો શરૂ થઈ હતી કે અરૂણ જેટલીને બદલે નાણા ખાતું અમિત શાહ અથવા પિયુષ ગોયેલને અપાશે. આ બાબત સુબ્રમણ્યમ સ્વામીને પસંદ આવી નથી અને તેઓએ તેનો વિરોધ કરવા માટે ટ્વિટ કર્યું છે. ભુતકાળમાં પણ અરુણ જેટલીને નાણા ખાતું અપાયું હતું ત્યારથી સુબ્રમણ્યમ સ્વામી તેનો વિરોધ કરી રહ્યા છે.

અરુણ જેટલીની વિરુદ્ધમાં તેઓએ અનેક વખત જાહેરમાં બળાપો પણ કાઢ્યો છે. સુબ્રમણ્યમ સ્વામી મૂળ અર્થશાસ્ત્રી છે. તેઓની ઈચ્છા કેન્દ્રમાં નાણા મંત્રી બનાવવાની છે. પરંતુ તેઓની ઈમેજ જોખમી નેતા તરીકેની છે. તેઓ કોઈને છોડતા નથી. તેમના આવા સ્વાભાવને કારણે જ તેઓ મોદીની ગુડબુકમાં આવતા ન હોવાથી તેમને મંત્રી બનાવાતા નથી. બીજી બાજુ સુબ્રમણ્યમ સ્વામીની છાપ એવી છે કે તેઓ રોકેટ જેવા છે એટલે કે ગમે ત્યારે જો આડુ ફાટે તો આ રોકેટ ગમે ત્યારે ગમે તેના પર પડી શકે છે.
યુ.પી.એ સરકાર આ વખતે તેઓએ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને દોડતા કરી દીધા હતા. તેઓની પર્સનાલિટી જેવી છે કે તેઓ ક્યારેય કોઈનાથી ગભરાતા નથી અને સ્પષ્ટ વક્તા હોવાથી જાહેરમાં અને ખુલ્લેઆમ પોતાની સરકાર કે મોદી વિરુદ્ધ પણ બોલી શકે છે. મોદી મંત્રીમંડળના શપથવિધિના આગલા દિવસે જ તેઓએ નાણાં ખાતાને લઈને ઘટસ્ફોટ કરતો ટ્વિટ કરતાં ભાજપમાં સન્નાટો પ્રસરી ગયો છે ત્યારે વિપક્ષના નેતાઓમાં આનંદ દેખાઈ રહ્યો છે.
Reviewed by GK Exam Guruji
on
May 29, 2019
Rating:
No comments: