રે સૂરજ ધીમા તપો : તેલંગણામાં 47.2 ડિગ્રી તાપમાન

31મે સુધી તેલંગણામાં આવી જ આગ ઝરતી ગરમી ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહી
તેલંગણાના કેટલાક વિસ્તારોમાં 29 મે સુધી તોફાની પવન સાથે વરસાદ પડવાની પણ સંભાવના
પંજાબ અને હરિયાણામાં પણ પારો 44 ડિગ્રીને પાર પહોંચતા પ્રજા ત્રાહિમામ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર
તેલંગણા, ઓડિશા અને હરિયાણામાં આગ ઝરતી ગરમીને કારણે સામાન્ય જનજીવનને અસર થઇ હતી. આ રાજ્યોના મોટા ભાગના શહેરોમાં ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
તેલંગણાના રામાગુંદમમાં મહત્તમ તાપમાન ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૩૧ મે સુધી તેલંગણામાં ગરમીનો આવો જ પ્રકોપ ચાલુ રહેશે અને લોકોને કોઇ રાહત મળે તેવી શક્યતા જણાતી નથી. જો કે તેલંગણાના કેટલાક વિસ્તારોમાં ૨૯ મે સુધી હવા સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના તેલંગણાના રામાગુંદમમાં સિઝનનું સૌૈથી ઉંચુ ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. રામાગુંદમ પછી અદિલાબાદ અને નાલગોંડા બંનેમાં ૪૫.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. જ્યારે નિઝામાબાદમાં ૪૫.૩ ડિગ્રી અને હૈદરાબાદમાં ૪૨.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.
તેલંગણાના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી કાળઝાળ ગરમી પડી રહી છે. દિલ્હીમાં પણ આજે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
ઓડિશાના ઓછામાં ઓછા ૧૧ વિસ્તારોમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પશ્ચિમ ઓડિશાના સોનેપુરમાં ૪૪.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.
હરિયાણા અને પંજાબમાં મોેટા ભાગના વિસ્તારોમાં તાપમાન સિઝનના સૌથી ઉચ્ચતમ સ્તરે જોવા મળી રહ્યું છે. ચંડીગઢમાં ૩૯.૯, નારનોલમાં ૪૪.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.
અંબાલાાં ૪૦.૫, ભિવાનીમાં ૪૧.૯, હિસારમાં ૪૧.૧, કર્નાલમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવતીકાલે દિલ્હીમાં તાપમાન વધીને ૪૩ ડિગ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને કામ વગર ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ આપી છે.
No comments: