એફ-16 તોડી પાડનાર અભિનંદનને મળી શકે છે આ વીરતા સન્માન
નવી દિલ્હી, તા. 20. એપ્રિલ 2019 શનિવાર
બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતીય સીમામાં ઘૂસી આવેલા એક પાક એફ-16ને તોડી પાડીને ઈતિહાસ સર્જનાર ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદન વર્થમાનને ભારત સરકાર વીર ચક્રથી સન્માનિત કરી શકે છે.ભારતના સંરક્ષણ દળોને બહાદુરી માટે અપાતો આ ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર છે.
હાલમાં અભિનંદન ચાર સપ્તાહની તબીબી સારવાર માટેની રજા પરથી પાછા ફરીને શ્રીનગરમાં પોતાની 51મી સ્કવોડ્રન સાથે જોડાઈ ગયા છે.જોકે તેમને ફરી ફાઈટર પ્લેન ઉડાવવા માટે ઈન્સ્ટિટ્યુટ ઓફ એરોસ્પેસ મેડિસિન, બેંગ્લોરની મંજુરી લેવી પડશે.
35 વર્ષીય અભિનંદનને ફરી ફાઈટર પ્લેનની કોકપિટમાં બેસતા પહેલા અહીંયા સંખ્યાબંધ ટેસ્ટ કરાવવા પડશે.એરફોર્સના એક અધિકારીના કહેવા પ્રમાણે લગભગ 12 સપ્તાહ સુધી અભિનંદનના સ્વાસ્થ્યની ચકાસણી કરાશે.મે મહિનાના અંત સુધીમાં ખબર પડી જશે કે તેઓ વિમાન ઉડાવવા ફીટ છે કે નહી.જો તેઓ ફીટ હશે અને ફરી વિમાન ઉડાવવા માંગતા હશે તો તે જલ્દી કોકપિટમાં જોવા મળશે.
અભિનંદનને એફ-16 તોડી પાડ્યુ તે વખતે અન્ય એક પાક મિસાઈલથી તેમના મિગ 21 વિમાનને નિશાન બનાવાયુ હતુ.અભિનંદનને તેના કારણે પેરાશૂટ વડે પાક સીમાની અંદર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.એ પછી તેમને બંધક બનાવાયા હતા.જોકે પાકિસ્તાનને બે દિવસમાં જ અભિનંદનને પાછો મોકલવાની ફરજ પડી હતી.
No comments: